મહારાષ્ટ્રમાં વધતા મરાઠી ભાષાના વિવાદ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર મુંબઈના મહત્ત્વને ઘટાડવાનો આરોપ લગાવ્યો છે. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમે તોડવાની ભાષાનો ઉપયોગ નથી કરી રહ્યા પરંતુ મુંબઈ ધીરે-ધીરે પોતાનું મહત્ત્વ ગુમાવી રહ્યું છે. અહીંના ઉદ્યોગ, ધંધાને ગુજરાતમાં લઈ જવાય રહ્યા છે. અહીંની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને પણ અહીંથી સ્થાનાંતરિત કરવાની વાત ચાલી રહી છે. ઠાકરેએ ધમકી ભર્યા અંદાજમાં કહ્યું કે, 'હું આ વાત સ્પષ્ટ રીતે કહું છું કે, જો કોઈએ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાની વાત કરી તો અમે તેના ટુકડા કરી નાખીશું.'
મીડિયા સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 'મુંબઈના મહત્ત્વને ઘટાડવામાં આવી રહ્યું છે, પરંતુ અમે એવું કંઈ નહીં થવા દઈએ. મુંબઈ દેશની આર્થિક રાજધાની રહી છે. આ દેશની આર્થિક રાજધાની છે અને એવી જ રહેશે. તેનું વધતું મહત્ત્વ કેટલાક લોકોની આંખોમાં ખટકે છે.'
ઠાકરેએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને નોઈડામાં શિફ્ટ કરવાના યોગી સરકારની મહત્વકાંક્ષી પરિયોજના પર નામ લીધા વગર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, 'તેઓ મુંબઈમાં આવેલા ફિલ્મ ઉદ્યોગને ક્યાંક સ્થાનાંતરિત કરી રહ્યા હતા? આ કોણ અહીંથી હટાવી રહ્યું હતું? શું આ સાચું નથી? આ એક આર્થિક કેન્દ્ર સ્થાપિત કરાઈ રહ્યું હતું પરંતુ અંતે અમદાવાદને બુલેટ ટ્રેન કોણ આપી રહ્યું છે? મુંબઈની સાથે જે પણ કરાઈ રહ્યું છે તેને લોકો ખુલીને જોઈ શકે છે, તેમાં મારે કંઈ પણ અલગથી જોડવાની જરૂર નથી.'
તમને જણાવી દઈએ કે, ઉદ્ધવ ઠાકરેનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે ગઈકાલે જ તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનું મહત્ત્વ એટલા માટે પણ વધુ છે કારણ કે ફડણવીસે એક દિવસ પહેલા જ ખુલીને ઉદ્ધવને ભાજપ સાથે આવવાની ઓફર આપી હતી. જો કે, બંધ બારણે બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ તે સામે નથી આવ્યું.
મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કર્યું તો તેના ટુકડા કરી નાંખીશું
By Himanshu Ramani (Idar)
Kapil Patel